દક્ષિણ આફ્રિકામાં ચાર માળનું મંદિર ધરાશાયી થતા અનેક લોકો દટાયા, એક ભારતીય સહિત 4ના મોત

By: Krunal Bhavsar
14 Dec, 2025

South Africa Temple Collapse: દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નતાલ પ્રાંતમાં નિર્માણાધીન ચાર માળના મંદિરના ધસી પડવાથી 4 લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક ભારતીય મૂળનો 52 વર્ષીય વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. અધિકારીઓના જણાવ્યાનુસાર, ભગવાન નરસિંહદેવના આ મંદિરને ભારતીય મૂળનો એક પરિવાર બનાવી રહ્યો હતો. તેનું નિર્માણ આશરે બે વર્ષ પહેલાં શરૂ થયું હતું, જેમાં ભગવાન નરસિંહદેવની દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા મૂકવાની હતી. જોકે, ઇથેક્વિન (અગાઉ ડરબન)ની નગરપાલિકાનું કહેવું છે કે, મંદિરના નિર્માણ માટે કોઈ બિલ્ડિંગ પ્લાન મંજૂર કરાયો નથી.

દક્ષિણ આફ્રિકામાં નિર્માણાધીન મંદિર ધરાશાયી

ઇથેક્વિની (અગાઉનું ડરબન)ની ઉત્તરે રેડક્લિફમાં એક ઢાળવાળી ટેકરી પર સ્થિત ન્યૂ અહોબિલમ ટેમ્પલ ઑફ પ્રોટેક્શનનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન શુક્રવારે ઈમારતનો એક ભાગ ધ્વસ્ત થઈ ગયો હતો. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, કાટમાળની નીચે કેટલાક કામદારો દટાયેલા છે. પરંતુ હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

કાટમાળમાં દબાવાથી ચારના મોત

શુક્રવારે એક મજૂર અને એક શ્રદ્ધાળુ સહિત બે લોકોનું મોતની પુષ્ટિ થઈ હતી. બચાવ ટીમોએ વધુ મૃતદેહો બહાર કાઢ્યા બાદ શનિવારે મૃત્યુઆંક વધીને ચાર થયો. સ્થાનિક મીડિયાએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, ચાર મૃતકોમાંથી એકની ઓળખ વિક્કી જયરાજ પાંડે તરીકે થઈ છે. તે મંદિર ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ સભ્ય અને બાંધકામ પ્રોજેક્ટના મેનેજર હતા.

મળતી માહિતી મુજબ, જયરાજ પાંડે લગભગ બે વર્ષ પહેલાં મંદિરની સ્થાપનાથી જ તેના વિકાસમાં સામેલ હતા. મંદિર સાથે સંકળાયેલી ચેરિટી “ફૂડ ફોર લવ” ના ડિરેક્ટર સનવીર મહારાજે પુષ્ટિ કરી છે કે મંદિર ધસી પડવાના કારણે માર્યા ગયેલા લોકોમાં તે પણ સામેલ હતા.


Related Posts

Load more